Categories: Uncategorized

મધ્યકાલિન અમદાવાદની મસ્જિતો : આપણો સાંસ્કૃતિક વારસો : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૮ અપ્રિલ ૨૦૧૧ના દિવસને “વર્ડ હેરીટેજ ડે” અર્થાત “વિશ્વ વારસા દિન”તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત વિઝ્યુલ આર્ટીસ્ટ એસોસિયેશનના સહિયારા પ્રયાસથી તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદની પોળોના સુંદર ચિત્રો ઉજવણીના ભાગ તરીકે દોરવામાં આવ્યા હતા. અમદાવાદની પોળો,તેની કલાત્મક બાંધણી અવશ્ય આપણી સાંસ્કૃતિક ધરોહર છે. તેનું જતન કરવાની આપણી પવિત્ર ફરજ છે. એ જ રીતે સલ્તનત યુગમાં અમદાવાદમાં સર્જાયેલ અદભૂત મસ્જીતો પણ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે આજે પણ હયાત છે. તેનું પણ આપણા વારસા અને પ્રવાસનના વિકાસ અર્થે જતન અત્યંત જરૂરી છે. આ મસ્જીતોનું સ્થાપત્ય હિંદુ અને ઇસ્લામિક સંસ્કૃતિનું સુંદર સમન્વય છે. ગુજરાતના પ્રખર ઇતિહાસકાર રત્નમણિરાવ જોટે તેમના ગ્રંથ “ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ (ઇસ્લામ યુગ)” મા લખે છે,
“બુલંદ કોમળતાનો, લાલિત્યથી પૂર્ણ મહાકાવ્યોનો,ભરપુર અલંકાર સાથે જ સ્વચ્છ અને સાદાઈનો,મજબુતાઈ સાથે લાવણ્યનો જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યોમાં સધાયો છે, એવો હિંદના અન્ય પ્રાંતોના કે બહારના દેશોના સ્થાપત્યોમા જડવો મુશ્કેલ છે”
આજે અમદાવાદમાં હયાત એવી સલ્તનતકાળની કેટલીક અદભૂત મસ્જીતોની વાત કરવી છે.
વિશ્વમાં જેની ગણના પથ્થરમાં કોતરાયેલ કાવ્ય તરીકે થાય છે, કલાકારીગરીના ઉત્તમ અને બારીક નમુના રૂપ થાય છે, તે વીજળી ઘર પાસે આવેલ સીદી સૈયદની મસ્જિતની જાળી છે. સીદી સૈયદ એ અમદાવાદ શહેરની સ્થાપના કરનાર બાદશાહ અહેમદશાહનો ગુલામ હતો. બાદશાહની તેના પર મીઠી નજર હતી.ધીરે ધીરે તે ધનવાન થયો. અને શાહી હદમાં તેણે એક સુંદર મસ્જિત બંધાવી. આ મસ્જીતની ઉત્તમ સ્થાપત્યકલા પથ્થરમાં કોતરાયેલી તેની સુંદર જાળીઓ છે. કહેવાય છે કે તેમાં કુલ ત્રણ જાળીઓ હતી. તેમાંથી એક લોર્ડ કર્ઝને ઇંગ્લેન્ડ લઇ જવા માટે કાઢી હતી. પણ મુંબઈ પહોંચતા તે ભાંગી ગઈ.એ ભાંગેલ ટુકડાઓ પરથી પ્લાસ્ટર ઓફ પેરીસ પર લઈ લીધેલ છાપ આજે પણ મુંબઈના શેઠ પુરષોતમ માવજી કળાસંગ્રહમાં છે. હાલ બે જાળીઓ સુરક્ષિત અને યથાવત છે. આ જાળીઓ દસ ફૂટ પહોળી અને સાત ફૂટ ઉંચી છે. સમગ્ર એશિયામા આવી કળાકૃતિ જોવા મળતી નથી. સર જોહન માર્શલ આ જાળીઓ અંગે લખે છે,
“અમદાવાદના લાલ દરવાજે આવેલી સીદી સૈયદની મસ્જિતની જાળીઓ તો આખી દુનિયાની જાળીઓમા શ્રેષ્ટ ગણાય છે અને જગતના બધાએ કલાવિવેચકોએ એની મુક્ત કંઠે પ્રશંશા કરી છે. યુરોપ-અમેરિકા આદિ દેશોના કલારસિકો આ જાળીઓના આકર્ષણથી જ અમદાવાદ આવે છે.”
શહેરની મધ્યમાં ત્રણ દરવાજાથી થોડે દુર આવેલી જામા મસ્જિત પણ ઇસ્લામી સ્થાપત્ય કલાનો બેનમુન નમુનો છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૪૧૨મા શરુ થયું હતું. બાર વર્ષના સખત પરિશ્રમ પછી પૂર્ણ થયેલ આ મસ્જિતની ત્રણ દિશમાં ત્રણ પ્રવેશ દ્વાર છે. અહેમદશાહના રોઝા પાસેનું દ્વાર મુખ્ય છે. ગાંધી માર્ગ પરની દુકાનોની હારમાળાએ મસ્જિતના સાચા સૌંદર્યને ઢાંકી દીધું છે. આજે એની સ્થિતિ કોથળામાં બાંધેલા રત્ન જેવી છે. બહારથી તેની ભવ્યતા માણી શકાતી નથી. તેથી પ્રવાસીઓ ત્યાં સુધી પહોંચવામા નિષ્ફળ જાય છે. જામા મસ્જિતનો વચ્ચેનો ભાગ વિશિષ્ટ રીતે આયોજિત કરેલો છે.ત્રણ ઉપરાઉપરી ગોઠવેલા થાંભલાઓ એના પાછલા મજલાને સુસંગત કરવા પ્રયોજાયા છે. આ મજલામા જાળી વડે મસ્જિતમા નીચેના ભાગને પ્રકાશિત કરવાનો ઇજીપ્તના મંદિરો જેમ કરેલો પ્રયાસ સ્પષ્ટ નજરે પડે છે. મસ્જિતના વચલા મિહરબ ઉપર અરબીમાં મસ્જિત બાંધ્યા અંગેનો લેખ છે.ઇતિહાસકાર રત્નમણીરાવ જોટે તેની બાંધણીમાં હિંદુ-ઇસ્લામિક સ્થાપત્ય કલાના સમન્વયનો ઉલ્લેખ કરતા લખે છે,
“અમદાવાદની જુમ્મા મસ્જિતમા અંદર અને બહારના દેખાવમાં મુસલમાન બાંધણીના સિદ્ધાંતોને હિંદુ મંદિરની બાંધણીની કલા સાથે એવી સુંદર રીતે મેળવી દીધી છે કે અંદર જાણે મંદિરોના મંડપોની માત્ર
પુનઃ રચના જ કરી હોઈ એવું લાગે છે.”
સ્થાપત્ય કલાના પ્રખર વિદ્વાન સર જોહન માર્શલ આ મસ્જિત અંગે લખે છે,
“એકંદરે આ મસ્જિત દુનિયાના ઐતિહાસિક મકાનોની તુલનામાં શ્રેષ્ટ મકાન છે. એને જોઈને બંગાળની આદિના મસ્જિત પેઠે નીરસ અને એકસરખી ભાવના ઉત્પન થતી નથી”

આવી જ અન્ય એક ઈમારત છે શાહેઆલમનો રોજો.સુલતાન મહંમદ બેગડાના ગુરુ શાહઆલમ વટવા વાળા સૂફી સંત કુતુબઆલમ સાહેબના પુત્ર હતા. શાહઆલમ સાહેબ ઈ.સ. ૧૪૭૫મા ગુજરી ગયા. તેમનો રોજો (મકબરો) મહંમદ બેગડાના અમીર તાજખાન નરપાલીએ બંધાયો હતો. તાજખાને બંધાવેલો રોજો તેની આસપાસની ભૌમિતિક આકૃતિઓની જાળીઓથી ખુબ સુંદર ભાસે છે. દરવાજાના બારણાંની નકશી પણ ઉત્તમ છે. ૨૮,૨૦ અને ૧૨ થાંભલાઓના સમાંતર ચતુષ્કોણ એક બીજાની અંદર આવેલા છે. અંદરના ૧૨ થાંભલાના ચોરસ ઉપર ઘૂમટ છે. એની બહાર પડાળી છે. એમાં સુંદર જાળીઓ આવેલી છે. શાહઆલમના રોજની આ જાળીઓ એટલી જાણીતી હતી કે શહેરની અતલસના કાપડ ઉપર જો શાહઆલમની જાળીઓની ભાત છાપેલી હોય તો તે કાપડનો ભાવ વધારે ઉપજતા હતો. કબરની ઉપર લાકડાની છત્રીમાં છીપનું સુંદર જડતર કામ છે. ઘૂમટમાં પણ છીપનું જડતર કામ ગ્યાસુદ્દીન અલી અસફખાને કરાવેવું છે. રોજાની બાજુમાં મોટી મસ્જિત છે. એ પાછળથી મુહંમદ સાલેહ બદક્ષીએ બંધાવેલી છે. તેના કલાત્મક મિનારા નજાબતખાને બનાવવાનો આરંભ કર્યો હતો. તે જહાંગીરના સુબા સૈફખાને ઈ.સ.૧૬૨૦મા પુરા કરાવ્યા હતા.મસ્જિતનું ધાબુ કમાનો પર ગોઠવેલું છે. એથી તેની બાંધણી અન્ય મસ્જિતો કરતા જુદી પડે છે. એક થાંભલા પર ચાર કમાનો ઉતારેલી છે. જેના કારણે મસ્જિતની સુંદરતા બમણી થઈ જાય છે. મસ્જિત સામે મોટું ટાંકું છે. એનો વિસ્તાર ૭૨ ચોરસ ફૂટ છે.મેદાનની ઈશાને મોટુ જમાતખાનું અને દીવાનખાનું છે. જુના દીવાનખાનાની જગ્યાએ સુલતાન મુઝ્ફ્ફરે તે બંધાવ્યું છે. ઈ.સ. ૧૭૮૦માં જનરલ ગોડાર્ડના ઘેરા વખતે એના છાપરાનો ઉપયોગ થયો હતો. હાલ તેના ઉપર ધાબુ છે.પશ્ચિમના દરવાજાની બહાર મુસ્તફાસર તળાવ છે. જે તાજખાનની પત્નીએ બંધાવ્યું છે. શાહઆલમના સ્થાપત્યનો આ સમૂહ અમદાવાદના પ્રવાસીઓનું અનેરું આકર્ષણ છે.

Mehboob Desai

Recent Posts

મારી પ્રથમ કાર : ડૉ. મહેબૂબ દેસાઈ

૧૪ જુલાઈ ૧૯૯૪ના રોજ મેં મારી પહેલી કાર મારુતિ ૮૦૦ કન્ટેનર પીસ સેકન્ડ હેન્ડ લીધી…

4 years ago

સૂફીગ્રંથ “સૂફી સંદેશ” ની મીમાંસા : ડૉ. મહેબૂબ દેસાઈ

પાલેજ અને મોટા મિયા માંગરો સ્થિત સૂફી વિચારની ચિસ્તીયા પરંપરાના હાલના ગાદીપતી સૂફી ડૉ મતાઉદ્દીન…

4 years ago

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ…

4 years ago

મારા મિત્રો અને ફોલોંર્સ

પ્રિય મિત્રો, મારી આ નવી વેબ સાઈડ આપના માટે ખુલ્લી મુકતા આનદ અનુભવું છું. મારા…

4 years ago

દૂરદર્શન, અમદાવાદ :

“ગાંધીજીને અપાયેલા માનપત્રો” અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો  ઈન્ટરવ્યું – મુલાકાત ૨ ઓકટોબર ૨૦૨૧ “ગાંધીજીને…

4 years ago

હઝરત મૌલાના અબ્દુલ કરીમ પારેખ : ડૉ. મહેબૂબ દેસાઈ

આધુનિક ભારતના ઇસ્લામિક વિદ્વાનોથી મોટા ભાગનો મુસ્લિમ સમાજ આજે પણ બહુ પરિચિત નથી. એવા એક…

10 years ago